ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કરાર થયા હતા. સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ભારત અને UKના સંબંધોને મજબૂત કરવામાં વડાપ્રધાન જોનસનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.

હાલ ભારત જ્યારે પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન બોરિસ જોનસનનું ભારતમાં આગમન પોતાની રીતે એક ઐતિહાસિક પળ છે. આ તરફ વડાપ્રધાન બોરિસ જોનસને પણ જોરદાર અંદાજમાં સંબોધન કર્યું હતું. તેમણે ‘નરેન્દ્રા, માય ખાસ દોસ્ત!’ (Narendra, My Khaas Dost!)થી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ પડકારજનક સમયમાં મારૂં માનવું છે કે, આપણે ખાસ મિત્રો વધુ નજીક આવીએ. ગુજરાતમાં અદ્ભૂત સ્વાગત થયું. મને સચિન તેંડુલકર જેવું લાગ્યું. મારો ચહેરો અમિતાભ બચ્ચનની માફક ખીલી ઉઠ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, આજે શાનદાર રીતે અમારી વાતચીત થઈ અને અમારા સંબંધોને દરેક રીતે મજબૂત બનાવ્યા છે. ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારી આપણા સમયની પારિભાષિત મિત્રતા પૈકીની એક છે. બ્રિટિશ PMએ જણાવ્યું કે, બ્રિટન નોકરશાહીને ઘટાડવા અને સંરક્ષણ ખરીદી માટે ડિલિવરીના સમયને ઘટાડવા માટે ભારત એક વિશિષ્ટ ઓપન સામાન્ય નિકાસ લાઈસન્સ બનાવી રહ્યું છે.