ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે ભારે ટીકાઓને પગલે એક ગુટખા પ્રોડક્ટનું એન્ડોરસમેન્ટ છોડી દેવાનું જાહેર કર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અકકીએ લખ્યું છે કે હું મારા બધા ચાહકો ની માફી માગું છું. મેં કોઈ તમાકુ ઉત્પાદનની સીધે સીધી જાહેરાત કરી નથી અને કરવાનો પણ નથી. આ બ્રાન્ડ એસોસિએશન અંગે સૌએ વ્યકત કરેલી લાગણીઓનું હું સન્માન કરું છું.

હું આ એન્ડોરસમેન્ટમાંથી ખસી જાઉં છું પણ કાનૂની કરાર પ્રમાણે જે સમયમર્યાદા નક્કી થઈ વહહે ત્યાં સુધી આ જાહેરખબર દેખાતી રહેશે. તેની આવક હું કોઈ સારાં કામ માટે દાનમાં આપી દઈશ. હવે પછી જાહેરખબર માટેની મારી પસંદીગીમાં પણ ધ્યાન રાખીશ. અક્ષય એક સરકારી જાહેરખબરમાં સ્મોકિંગને જીવલેણ ગણાવે છે પણ બીજી તરફ ગુટખા બ્રાન્ડની જાહેરાત કરે છે એ મુદ્દે ભારે વિરોધ થયો હતો. ગોવા ભાજપના એક નેતાએ તો ગુટખાની જાહેરાત કરનારા તમામ અભિનેતાઓ પદ્મ એવોર્ડ પાછા ખેંચી લેવાની માંગ પણ કરી હતી.
અગાઉ અમિતાભ બચ્ચને પણ ભારે ટીકાઓને પગલે એક ગુટખાની સરોગેટ એડમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. ત્યારે અમિતાભે એવો બચાવ કર્યો હતો કે પોતાને આ પ્રોડક્ટની એડ વાસ્તવમાં ગુટખની સરોગેટ એડ છે એવો ખ્યાલ ન હતો. અક્ષય જે બ્રાન્ડ માટે એડ કરી રહ્યો છે તેને શાહરુખ ખાન અને અજય દેવગણ અગાઉથી એન્ડોર્સ કરી રહ્યા છે. અજય દેવગણે તો પોતાની આ જાહેરાતનો એકથી વધુ વખત બચાવ કર્યો છે.