લખનૌના બિજનોર ખાતે મકાનનું ધાબું ધસી પડતાં લગ્નની ખુશીઓ શોકમાં પલટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 વર્ષની બાળકી સહિત 2 લોકોના મોત થયા હતા. ઘટનાની વિગતો પ્રમાણે મહિલાઓ, બાળકો લગ્નની જાન જોવા માટે મકાનની છત પર ઉભા હતા અને વજન વધી જતાં ધાબું નીચે ધસી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને એકાદ ડઝન જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

લગ્નની જાન બિજનોર થાણા ક્ષેત્રના જાલિમ ખેડા ગામથી લખનૌના બંથરા સ્થિત નુર્દીખેડા પહોંચી હતી. જાન જોવા માટે ગામના લોકો યુવતીના ઘરે ધાબે એકઠાં થયા હતા. આ દરમિયાન અચાનક જ ધાબાનો સ્લેબ નીચે ધસી પડ્યો હતો. તે સિવાય આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 2 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મકાનનું ધાબું ધરાશાયી થવાના કારણે ધાબા પર ઉભેલા લોકો અને નીચે રહેલા લોકો કાટમાળમાં દટાયા હતા.