રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયો નહોતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઇ રહ્યો છે. 17 જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આ માટે ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે.આ અંગેની સત્તાવાર જાહેરાત BCCIના સેક્રેટરી જય શાહે કરી છે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં કુલ 8 મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 ટી-20 અને 3 વન ડેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે. 17 જાન્યુઆરી-2020માં રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. બાદમાં એક પણ મેચ રમાયો નથી. આ વૈશ્વિક આયોજન બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. ભારતની આ શ્રેણી માટે પહેલાંથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 17 જૂન-2022ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો થશે.