સરસ્વતીના શેરપુરા કાંસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શૈક્ષણિક કાર્ય સાથે શાળામાં માનવતાના કાર્યો કરી રહ્યા છે. તાજેતરમાં શાળામાં પક્ષીઓ માટે 4.5 લાખના ખર્ચે પક્ષી ઘર બનાવી 800 જેટલા પક્ષીઓ રહેઠાણ સહિત અન્નની વ્યવસ્થા સાથે પાલન પોષણ કરી માનવતા ભર્યું કાર્ય કરતા જિલ્લા શિક્ષણ વિભાગમાં પ્રેરણાદાયી બન્યા છે. તેમના પરિવાર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર આ રીતે પક્ષી ઘરોનું નિર્માણ કરી પક્ષીઓને રહેઠાણ માટે વ્યવસ્થા કરાઇ રહી છે.

શેરપુરા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિતેશભાઇ રમેશભાઇ પટેલ મૂળ વતન બાલિસણા છે.કર્મભૂમી શેરપુરા શાળામાં બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કારોનું સિંચન કરવાની સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાના બાળકો ગણી તેમને સુખ દુઃખમાં સહભાગી પણ થઈ રહ્યા છે. જીવદયા પ્રેમી શિક્ષક દ્વારા શાળામાં શિયાળો ઉનાળો ચોમાસુ દરમિયાન પક્ષીઓને સુરક્ષિત વ્યવસ્થા માટે શાળાના સંકુલમાં જાન્યુઆરી 2022માં 4.5 લાખના ખર્ચ 6 માળનું 800 પક્ષીઓ રહી શકે તેવું પાકું આધુનિક પક્ષી ઘરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે.
પક્ષી ઘર બનાવવા માટે મોરબીથી મટિરિયલ લાવી બાલીસણા ગામના સ્પેશ્યલ 4 કારીગરો પાસે બનાવવામાં આવ્યું હતું. જેને બનાવતા એક માસનો સમય લાગ્યો હતો. હાલમાં 800થી વધુ પક્ષીઓ ત્યાં રહેઠાણ મેળવી રહ્યા છે. શાળામાં પક્ષીઓનો સતત ઘસારો રહેતો હોય પક્ષીઓનો જીવ જોખમમાં ન મુકાય અને તેમને કાયમી રહેઠાણ માટે વ્યવસ્થા થાય તેવા હેતુથી 4.5 લાખના ખર્ચે શાળામાં પંખી ઘરનું નિર્માણ કરાવ્યું.જેમાં 800 ઉપરાંત પંખીઓ આ પંખી ઘરમાં નિર્ભય રીતે રહે છે. તે જોઈ ખૂબ આનંદ થાય છે.