સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મંત્રી નવાબ મલિકની તાત્કાલિક જમાનત માટેની અરજી ફગાવી દીધી છે. દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરાયેલ નવાબ મલિકની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, તે આ તબક્કામાં દખલ નહીં કરે. તેઓ જામીન માટે અરજી કરી શકે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કહ્યું કે, તપાસના આ તબક્કે અમે આ મામલે દખલ કરવા ઈચ્છતા નથી. અમે આ તબક્કે દખલ નથી કરી રહ્યાં. સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના અવલોકનો ત્યાં સુધી જ સીમિત છે કે, વચગાળાની રાહત આપવી કે નહીં. આ કાયદામાં ઉપલબ્ધ ઉપાયોનો આશરો લેવામાં આડે આવશે નહીં. નવાબ મલિક વતી કપિલ સિબ્બલે કહ્યું કે, તેમની ધરપકડ 2022માં કેવી રીતે થઈ, જ્યારે આ કેસ તો 1999નો હતો? 5000 પાનાની ચાર્જશીટને કારણે સ્પેશયલ કોર્ટ જામીન નહીં આપે. જોવા જઇએ તો મારા વિરુદ્વ કોઇ કેસ જ નથી બનતો. આ PMLA કેસ નથી બનતો.
નવાબ મલિકે પોતની ધરપકડને ગેરકાનુની ગણાવી હતી. તેમણે પોતાની સામે નોંધાયેલી EDની કાર્યવાહીને રદ કરવાની અને પોતાની તાત્કાલિક જમાનત માટેની માગણી કરી હતી. હાઈકોર્ટે 15 માર્ચે વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, ફક્ત PMLAના કારણે તેમને કસ્ટડીમાં મોકલવાનો વિશેષ અદાલતનો આદેશ ગેરકાયદે કે ખોટો કહી શકાય નહીં, કારણ કે તે તેના પક્ષમાં નથી.