અયોધ્યાની તપસ્વી છાવણીના જગદગુરુ પરમહંસાચાર્યએ તેમને આગરા તાજમહેલમાં જતાં રોકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભગવો પહેર્યો હોવાથી તેમને રોકવામાં આવ્યા હતા. જોકે ઓફિસરોએ દાવો કર્યો છે કે જગદગુરુને લોખંડનું બ્રહ્મદંડ અંદર લઈ જવાની ના પાડવામાં આવી હતી. વિવાદ વધતાં ઓફિસરોએ માફી પણ માગી હતી.

પરમહંસાચાર્યએ કહ્યું હતું કે તેઓ તાજમહેલમાં દબાયેલું શિવલિંગ જોવા પહોંચ્યા હતા. સાંજે 5.35 વાગે તેમના શિષ્યો સાથે તાજમહેલમાં પ્રવેશ કર્યો તો ત્યાં હાજર CISF જવાનોએ તેમને રોક્યા. તેમણે સંતનાં ભગવા કપડાં અને બ્રહ્મદંડનો વિરોધ કર્યો હતો. અહીં વાતચીત થયા પછી તેમણે ટિકિટ લીધી હતી. તેમના શિષ્યોએ અધિકારીઓનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો તો તેમને મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો.
પરમહંસાચાર્યએ જણાવ્યું હતું કે અલીગઢના એક ભક્ત પરિવારમાં એક મહિલાની તબિયત ખરાબ થઈ હતી. તેને આશીર્વાદ આપવા તેઓ અલીગઢ સુધી આવ્યા હતા. ત્યાર પછી તેઓ તેમના 3 શિષ્ય સાથે આગરા પહોંચ્યા હતા. ત્યાં તાજમહેલ જોયો. તેમની સાથે સરકારી ગનર પણ હાજર હતો. સ્માશાન ઘાટથી તેઓ તાજમહેલ જોવા નીકળ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમનો પરિચય મેળવીને તેમને ગોલ્ફ કાર્ટમાં બેસાડીને પશ્ચિમ ગેટ તરફ મોકલી દીધા હતા.