માર્ચ 2020માં પ્રથમ 2 કેસ નોંધાયા હતા ત્યારબાદથી ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આ મહામારીના કારણે 11 હજાર લોકોના મૃત્યુ થયા છે અને 12 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યભરમાં લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે, શું આ વાયરસ પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે?

હાલમાં જ ગુજરાતમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, શ્વાન, ગાય અને ભેંસમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જોકે, આ સંશોધનમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, એ વાતનો હજુ કોઈ પૂરાવો નથી મળી શક્યો કે, કોરોના સંક્રમિત પ્રાણીઓના કારણે માણસોમાં સંક્રમણ ફેલાય શકે છે. જાણવા મળ્યા મુજબ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાને કારણે આ પ્રાણીઓ પણ સંક્રમિત થયા હોય એવું બની શકે છે. નોંધનીય છે કે, કામધેનુ યુનિવર્સિટીના અરુણ પટેલ તથા અન્ય લોકો ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડિનેશ કુમાર અને અન્ય સાથીઓ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનની પ્રિ-પ્રિન્ટ તાજેતરમાં જ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી હતી.
આ સંશોધનનું ટાઈટલ છે – Surveillance and molecular characterization of SARS-CoV-2 infection in non-human hosts in Gujarat, India. આ સંશોધન કરવા માટે 413 પ્રાણીઓના રેક્ટર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 195 શ્વાન, 64 ગાયો, 42 ઘોડા, 41 બકરીઓ, 39 ભેંસ, 19 ઘેટા, 6 બિલાડીઓ, 6 ઊંટ અને 1 વાંદરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણાથી એકત્ર કરવામાં આવ્યા હતા. માર્ચ, 2022માં તેનો અંતિમ સેમ્પલ મેળવવામાં આવ્યો હતો.