ગારિયાધારના વેળાવદર ગામમાં ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવનું વિસ્તૃતિકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં દરેક વિસ્તારમાં 75 તળાવ નિર્માણ થાય તેવો સંકલ્પ લેવાં દેશના નાગરિકોને અપીલ કરી છે તેને આગળ ધપાવતાં નવું તળાવ તો નહીં પરંતુ હયાત તળાવને વધુ ઉંડું કરવાનો અને તેને તેના વિસ્તૃતિકરણની કામગીરી ભાવનગરના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામમાં હાથ ધરવામાં આવી છે.

ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ બે તળાવો આવેલાં છે. આ તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે વડોદરાનું બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ન્યાલકરણ ગૃપના રમેશ ગોળવિયા, શૈલેષ ગોળવિયા, પ્રવિણભાઇ વગેરેએ ગામના નવીનીકરણ માટે ખૂબ મહત્વનું યોગદાન આપેલું છે. ગામના વિકાસ માટે તેઓએ પોતાના ખર્ચે ‘ગામનું પાણી ગામ’માં રહે તેવાં અભિગમને સાકાર કરતાં ગામ તળાવને ઉંડુ ઉતારવાં માટે રોજનો લગભગ 40 હજાર જેટલો ખર્ચ પોતાની રીતે કરી રહ્યાં છે. આ કાર્ય છેલ્લા 8 દિવસથી ચાલુ છે અને હજુ 20 થી 25 દિવસ ચાલશે. એટલે કે આ કાર્ય માટે અંદાજે રૂા.8 થી 9 લાખનો ખર્ચ થશે. સમગ્ર ગામના લોકો તેમની આ પ્રવૃત્તિને બિરદાવી તેમના ગામ માટેના આ કાર્ય માટે સહભાગી બની રહ્યાં છે.