કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રવાસન સ્થળો પર પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કાંકરિયા લેક પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીમાં કાંકરિયા લેખ ખાતે કુલ 9.26 લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં. પરંતુ હવે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પ્રબળ વધારો થાય તેવી શક્યતાઓ છે.

અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે. કોરોનાની ગાઈડલાઈનના બંધનથી મુક્તિ મળતાં હવે લોકો ફરવા નીકળ્યાં છે. કાંકરિયા લેક ખાતે સવારના સમયે મોર્નિંગ વોક કરવા જતાં લોકોની સંખ્યામાં પણ હવે વધારો થયો છે. બીજી બાજુ કાંકરિયા ઝૂ ખાતે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી પણ લાવવામાં આવી છે. તે ઉપરાંત લેકમાં ગ્રીનરીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોવાથી લોકો બપોરના સમયે ત્યાં આવીને સમય પસાર કરી રહ્યાં છે.

કાંકરિયા ઝૂ ઉપરાંત નોક્ટર્નલ ઝૂ સહિત કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ-2022 સુધીમાં કિડસસિટી ખાતે 6348 મુલાકાતી પહોંચ્યા હતા. કાંકરિયા પ્રાણી ઝૂ અને નોક્ટર્નલ ઝૂ ખાતે 15 જૂન -2021થી 24 માર્ચ-2022 સુધીમાં કુલ મળીને 22 લાખ 96 હજાર 783 લોકોએ મુલાકાત લીધી હતી.આ સમય દરમ્યાન કુલ આવક 5 કરોડથી વધુ થવા પામી હતી.