અલવરના રાજગઢમાં ત્રણ મંદિરોને તોડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારપછી ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપની આઈટી સેલના ચીફ અમીત માલવીયએ આ મુદ્દે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કરૌલી અને જહાંગીરપુરીમાં મગરના આંસુ વહાવવા એ જ કોંગ્રેસનું સેક્યુલારિઝમ છે.

રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. શિવાલયમાં ચંપલ પહેરીને જવાથી અને મૂર્તીઓ પર કટર મશીન ફેરવવાથી હિન્દુવાદી સંગઠનો ગુસ્સે થઈ ગયા છે. આ કાર્યવાહીના વિરોધમાં નગર પાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ કેસ દાખલ કરવામા આવ્યો નથી.
BJP નેશનલ આઈટીસેલના ચીફ અમિત માલવીયાએ કહ્યું છે કે, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે. માલવીયએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે, રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું મંદિર તોડવામાં આવ્યું છે. કરૌલી અને જહાંગીરપુરીમાં આસું વહાવવા અને લોકોને આસ્થાને ઠેસ પહોંચાડવી- આ જ કોંગ્રેસનું સેક્યુલારિઝમ છે.